સ્નેહગીતા

કડવું ૨૮

પછી ઊગ્યો અર્ક1 ને જાતી રહી જામનીજી,2 ભવન ભવનથી ભેળી થઈ ભામનીજી3

નંદ ઘરે નવલો રથ કેનો આવ્યો કામનીજી, અલબેલો આવ્યા જાણી ધામધામનીજી ॥૧॥

ધામધામથી ધાઈ4 ગોપી, વળી રથ જાણીને રાજનો ।

ટોળે મળી વળી વનિતા, મેલ્યો ધંધો ઘર કાજનો ॥૨॥

આવી જોયું ત્યાં ઉદ્ધવ દીઠા, પછી ભેટી તેને ભાવશું ।

પછી પ્રેમે કરીને પ્રમદા, પૂછે ઉદ્ધવને ઉચ્છાવશું5 ॥૩॥

શિયો સંદેશો સુખનો, કૃષ્ણજીએ અમને કા’વિયો ।

તમને મૂક્યા તે ન આવ્યા, એવો શિયો અભાવ આવિયો ॥૪॥

સાચું કહેજો સમ અમારા, અમે પૂછું છું એ પ્રશ્નને ।

અમ ઉપરે ઉદ્ધવ એણે, કહો કેમ ધાર્યું છે કૃષ્ણને ॥૫॥

અહોનિશ ઉદ્ધવ તમે, મોહનશું રહો છો મળી ।

કોઈ વારે કૃષ્ણજી કહેતા, વ્રજમાં જાશું વળી ॥૬॥

ઉદ્ધવ કહેજો અમને, હોય જથારથ જેવું સહિ ।

શિયે વાંકે શ્યામળો, વળી વ્રજમાં આવ્યા નહિ ॥૭॥

સ્નેહ છે એને કોણ સાથે, કેની પ્રીત કરી પિયુ વાધિયા ।

કેને વશ થઈ રહ્યા વહાલો, જે અમને તજી તેના થયા ॥૮॥

ઉદ્ધવ અમને અલબેલાની, કથા તે સર્વે કહો કથી ।

કોણ કારણ ઉદ્ધવ અમને, મોહને ઉતાર્યાં મનથી ॥૯॥

ઉદ્ધવજી હવે ઊચ્ચરો, રખે વા’લે કહ્યું તે વિસારતા ।

નિષ્કુળાનંદના નાથજીની, કરો વિધ વિધ વારતા ॥૧૦॥ કડવું ॥૨૮॥

કડવું 🏠 home