વચન વિધિ

કડવું – ૪૧

જેમ એક પુરુષને પુત્ર બે ચારજી, તેને પરણાવી જૂજવી નારજી

તે સૌ બાંધી બેઠા ઘરબારજી, તેમાં એક વનિતાયે કર્યો વ્યભિચારજી

વ્યભિચાર કરી વણશી ગઈ, માંડ્યું જેઠનું જઈ ઘર ॥

તેને શાણી ગઈ સમજાવવા, ત્યાં તો બોલી સામું બળભર ॥૨॥

કહે શું સમજી શિખામણ દેવા, તું આવી અતિ ડાહી થઈ ॥

ખબર વિના ખોટ ખોળે છે, એવી અક્કલ કેમ ઊઠી ગઈ ॥૩॥

સાસુ સસરો ગોર ગોત્રજ, કુળદેવ બીજા નથી કરિયાં ॥

નણંદ નાતિ જાતિ જાણો, એ તો એમ જ છે નથી ફરિયાં ॥૪॥

ફેરવણીમાં ફેરવણી1 એટલી, પાલટો2 કર્યો એક પતિતણો ॥

એને ઉપર આગ્રહ આવો, કહો કેમ કરો છો ઘણો ॥૫॥

ઈર્ષ્યાયે કરી આળ3 ચડાવી, વણ વાંકે નાખો છો વાંકને ॥

ફજેતી કરવા સૌ ફર્યા છો, નાખી કલંક કાપવા નાકને ॥૬॥

મને કહ્યું એમ કહો બીજાને, તો તરત મળે તેનું ફળ ॥

અમ જેવાં તો અનેક છે, તેની નથી તમને કાંઈ કળ4 ॥૭॥

એમ અભાગણી ઉચ્ચરે, શુદ્ધ અતિ સાચી થઈ ॥

નિષ્કુળાનંદ કહે એવા નિર્લજ્જને, લાજ ને શરમ શી રઈ ॥૮॥

કડવું 🏠 home