વચન વિધિ

કડવું – ૮

ઇચ્છે કોઈ કરવા અવળું આપણુંજી, તે જન લોપે વચન હરિતણુંજી

જેણે કરી થાય દુઃખ ઘણું ઘણુંજી, પામી દુઃખ પછી મુખ થાય લજામણુંજી

લજામણું મુખ લઈને, જન જીવે જે જગમાંઈ ॥

ધિક ધિક એ જીવિતવ્યને, કામ ન આવ્યું કાંઈ ॥૨॥

સારપ્ય એની શું રહી, આવ્યો હરિવચનના વાંકમાં ॥

મોર્યથી નાખી કર મૂછ પર, પછી છરી મંડાવી નાકમાં ॥૩॥

શું થયું જપ તપ તીરથે, શું થયું વળી જોગ જગને ॥

શું થયું વિદ્યા ગુણ ડહાપણથી, જો ન રહ્યો હરિને વચને ॥૪॥

સુરગુરુ1 સરિખો નહિ, વળી બીજો કોઈ બુદ્ધિમાન ॥

વીરની2 વધૂ વિલોકીને, ઉર આવી ગયું અજ્ઞાન ॥૫॥

વિચાર વિના વચનનો, લોપ કર્યો લજ્જા તજી ॥

માથે મેષ3 બેસી ગઈ, તે હરકોઈ કે’ છે હજી ॥૬॥

જે જે વચન જેને કહ્યાં, તેમાં રે’વું સહુને રાજી થઈ ॥

આજ્ઞા અદ્રિ4 ઉલ્લંઘતાં, સમજો સહુને સારું નઈ ॥૭॥

શીદ લૈયે સંતાપને, વચનથી વરતી બા’ર ॥

નિષ્કુળાનંદ ન લોપિયે, વચન હરિનું લગાર ॥૮॥

 

પદ – ૨

રાગ: જકડી

વચન લોપી જાણે સુખ લેશું રે,

  તે તો કે’શું કે’વાને જો રે’શું રે… વચન૦ ટેક.

જ્યારે પશ્ચિમે પ્રગટશે રવિ રે, થાશે બીજ રહિત પૃથ્વી રે;

  તોયે નહિ થાય રીત એ નવી રે… વચન૦ ॥૧॥

જ્યારે શૂન્ય5 સુમનની6 સ્રજ7 થાશે રે, ઝાંઝુજળ8 પાને જન ધાશે રે;

  તોયે એ વાત કાંઈ મનાશે રે… વચન૦ ॥૨॥

સુત ષંઢથી9 પામશે નારી રે, મળશે માખણ વલોવતાં વારિ રે;

  તોયે વિમુખ સુખ રે’શે હારી રે… વચન૦ ॥૩॥

એહ વાત પ્રમાણ છે પકી રે, તે તો ખોટી ન થાય કોઈ થકી રે;

  કહે નિષ્કુળાનંદ એમ નકી રે… વચન૦ ॥૪॥

કડવું 🏠 home