સારસિદ્ધિ

કડવું - ૧૪

રાગ: ધન્યાશ્રી

તીવ્ર વૈરાગ્ય છે સુખની સીમાજી, અતિ આનંદ રહ્યો છે તેમાંજી ।

અણું એક ભાર નથી દુઃખ એમાંજી, તે તો તેહ જાણે જન પ્રગટ્યો છે જેમાંજી ॥૧॥

રાગ: ઢાળ

જેને પ્રગટ્યો તે જન જાણે, બીજા શું વખાણે વાણિયે ।

વણ દીઠે કરે વારતા, તે પૂરી કેમ પ્રમાણિયે ॥૨॥

પણ જેના પંડ્યમાં પ્રગટ્યો, તીખો તીવ્ર વૈરાગ્ય ।

તેહના અંગમાંહિ અજાનો,1 રે’વા તે ન દિયે ભાગ ॥૩॥

જેમ કંચનને કુંદન2 કરતાં, તેને જાણજો જોયે તાપ ।

તેમ તીવ્ર વૈરાગ્યના તાપથી, શુદ્ધ થાયે અંતર આપ ॥૪॥

વિશલ્યકરણી3 ઔષધિ વડે, શલ્ય નીસરી જાયે શરીરથી ।

તેમ તીવ્ર વૈરાગ્ય તેણે કરી, જાયે વિષયશલ્ય4 અચિરથી5 ॥૫॥

જેમ સુરાખારને6 અરઘે7 કરી, ગોળી ગળીને8 નિસરે બાર ।

તેમ તીવ્ર વૈરાગ્યના વેગથી, રહે નહિ વિષય વિકાર ॥૬॥

સુખ દુઃખના શલ્ય9 શરીરે, ક્ષણું ક્ષણુંએ ખટકે ખરાં ।

તે તીવ્ર વૈરાગ્યના વેગ વિના, પંડમાંથી ન થાય પરાં ॥૭॥

સુતાં બેઠાં ચાલતાં, શલ્ય સૂક્ષ્મ સણકા કરે ।

તે બૃહત10 વૈરાગ્ય વિના, કોઈથી પણ નવ નીસરે ॥૮॥

બા’રના દરદની ઔષધિ, કાષ્ટ ધાતુની કે’વાય છે ।

પણ તીવ્ર વૈરાગ્ય ટાળી,11 અંતર દુઃખ કાંયે જાય છે? ॥૯॥

તીવ્ર વૈરાગ્ય તન મનને, શોધીને કરે છે શુદ્ધ ।

નિષ્કુળાનંદ એ સુખનિધિ છે, એમ કે’ છે સંત સુબુદ્ધ12 ॥૧૦॥

કડવું 🏠 home