સારસિદ્ધિ

કડવું - ૩૧

સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મનચિત્તવૃત્તિજી

હરિ વિના બીજે રાખે નહિ રતિજી, તે ખરા સંત કહિયે મહામતિજી

મહામતિ તે સંત ખરા, મૂકે નહિ મહારાજની મૂરતિ ॥

અખંડ રાખે ઉર વિષે, જાણી કમાણી મોટી અતિ ॥૨॥

ચર્ણ જુવે તો ચર્ણ જોઈ રહે, ચિહ્ન જુવે તો જોઈ રહે ચિહ્ન ॥

નખ જુવે તો નખ જોઈ રહે, રહે ગર્ક1 મહાજળે જેમ મીન ॥૩॥

ફણા ઘૂંટી પેનીને પેખી, લેખે જંઘા જોઈ તે સંત સુખ ॥

જાનું ઉરુને જોઈ રહે, જોતાં કટિ મટી જાયે દુઃખ ॥૪॥

ઉદર નાભીને નીરખે, પેટ છાતી જુવે પ્રેમે કરી ॥

કંઠ તિલક કપોળ જોઈ, રાખે હરિમૂર્તિ ભાવે ભરી ॥૫॥

શ્રવણ નયણ નાસિકા જોઈ, ભ્રકુટી ભાલને ભાળી રહે ॥

શીશે કેશ સુંદર વેષ, નખશિખ રૂપ નીહાળી રહે ॥૬॥

એમ અખંડ એક વરતિ, મૂર્તિને મૂકતી નથી ॥

જેમ સરિતા2 સાગર માંઈ, સન્મુખ ચાલતાં ચૂકતી નથી ॥૭॥

અંગો અંગ અવલોક્યા વિના, અણું અજાણ્યું પણ છે નહી ॥

સાંગોપાંગ3 સર્વે સુંદર, હરિ હૈયામાં ગયા રહી ॥૮॥

તે જ જ્ઞાની તે જ ધ્યાની, જેને અખંડ રહે છે એમ ઉર ॥

જે જનને પ્રભુની મૂરતિ, રે’તી નથી અંતરથી દૂર ॥૯॥

એથી ઉપરાંત અન્ય બીજા, જ્ઞાની તે કેને ગણિયે ॥

નિષ્કુળાનંદ એ ખરા જ્ઞાની, બીજા ભવે ભળ્યા4 જ્ઞાની ભણિયે5 ॥૧૦॥

કડવું 🏠 home