સારસિદ્ધિ

કડવું - ૪

રાગ: ધન્યાશ્રી

જેમ વનજનને વા’લું વનજી, તેને વસતાં વસ્તીએ માને નહિ મનજી ।

ફળ દળ ફૂલ ખાય નિશદિનજી, અતિ રસે સરસ પણ ન ભાવે ભોજનજી ॥૧॥

રાગ: ઢાળ

ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધાં કોઠાં કરી ખાંત્ય1

ઉપર ખાધી આંબલી, તેણે અંબાઈ ગયા છે દાંત ॥૨॥

જેની વિષય કોઠાંમાં વૃત્તિ વળગી, અહંમમતરૂપ ખાધી આંબલી ।

તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કે’શે સાકરને ભલી ॥૩॥

તેમ ભોગવ્યાં સુખ જેણે ભૂમિનાં, તેથી અધિક સુણ્યાં અમરેશનાં2

તેને પામવા પામર નર, સહે છે દુઃખ હમેશનાં ॥૪॥

જેમ અમલ3 પીતાં અકલ નાસે, તોયે અંતરે જાણે અધિકું પીઉં ।

આવ્યું ડૂલપણું4 તે નથી દેખતો, એવું અતિશે ફૂટી ગયું હઇયું5 ॥૫॥

થોડી ઉપાધિયે પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ ન ગૂંચવશે ।

સૂકું રણ ઉતરે સમર્થ નથી, તો કેમ ઉતરશે રણ જ્યારે વસે6 ॥૬॥

જાણે પેસી ઊંડા અર્ણવમાં,7 તળે જળ પીને તરષા તજું ।

પણ બહુ દુઃખ છે બા’ર આવતાં, તે પણ તપાસિયે ગજું ॥૭॥

આઘા પગ પરઠતાં,8 હૈયે કરવો નહિ હુલાસ ।

આગળ સુખ કે દુઃખ છે, તેનો કાઢવો તપાસ ॥૮॥

તેમ વિષય સુખની વાટે ચાલતાં, વિચારી જોવી જન વાત ।

કૈકવાર સુખ પામ્યાં વામ્યાં, લાખો લેખે લાગી લાત9 ॥૯॥

માટે વાટ એ મૂકવી, ન ચુકવી આવી આ પળ ।

નિષ્કુળાનંદ કહે નાથનાં, સેવવાં ચરણ કમળ ॥૧૦॥

કડવું 🏠 home