સારસિદ્ધિ

કડવું - ૭

રાગ: ધન્યાશ્રી

જો શુદ્ધ વૈરાગ્ય ઊપજે અંગજી, તેને ન ગમે વિષય સુખનો સંગજી ।

અંતરે ઉદાસી રહે અભંગજી, તેને ચિત્તે ચઢે હરિનો રંગજી ॥૧॥

રાગ: ઢાળ

ચિત્તે રંગ જાય ચડી, તે ઉતાર્યો ઉતરે નહિ ।

એવા વૈરાગ્યવાનને, પિંડ બ્રહ્માંડની ગણતી સહિ ॥૨॥

એવા શુદ્ધ વૈરાગ્યવાળા શુકજી, જડભરતને પણ જાણીએ ।

કદરજમાં પણ કાચું નહિ, ખરા વૈરાગ્યવાન વખાણીએ ॥૩॥

દેવ ઋષિ નરદેવની,1 કહી ખોટ મોટી ખોળીને ।

તેથી મનુષ્યની મોટ્યપ કે’તાં, તન મને જોવું તોળીને ॥૪॥

પણ પ્રહ્લાદે પરબ્રહ્મથી, માયિક સુખ નવ માગિયું ।

કુંતા ભક્ત કૈ’યે ખરાં, વિદુરે નિજ રાજ્ય ત્યાગિયું ॥૫॥

ગોપીચંદ બાજિંદ શેખ ભર્તૃહરિ, સબસ્ત બરેજ મનસુર મલેચ ।

અતિ વૈરાગ્યના વેગ વડ્યે, પડ્યા નહિ માયાને પેચ2 ॥૬॥

શુદ્ધ વૈરાગ્ય શરીરમાં, અચાનક જેને ઉપજે ।

તેને બ્રહ્મા થકી આ ભૂમિના, સુખ નર અમરનાં નવ રજે3 ॥૭॥

સાચો વૈરાગ્ય છે સુખનિધિ,4 જો આવી જાયે અચાનકે ।

તો કસર કોઈ નવ રહે, ઠીકોઠીક પોં’ચાડે સ્થાનકે ॥૮॥

મોટે ભાગ્યે મનુષ્યને, મળે નિરવેદ રૂપણી નિધિ ।

રે’વા ન દીયે રંકપણું, વિષયસુખનું કોયે વિધિ ॥૯॥

વણ વૈરાગ્યે એ છે વસમું, વૈરાગ્યવાનને વસમું નથી ।

તન કરી રાખ્યું છે તૃણ તોલે, કહે નિષ્કુળાનંદ શું કહું કથી ॥૧૦॥

કડવું 🏠 home