સારસિદ્ધિ

કડવું - ૩૬

કથી નથી કે’વાતું કડવું લગાડીજી, ચોખા ચોખું ચોકસ પાંતિયા પાડીજી1

આવે અવસરે જે વરતે છે અનાડીજી,2 તેને કે’તાં ડરતાં રે’વાએ દાડીજી

દાડી રે’વાયે ડરતાં, સાચું કે’તાં ઊપજે કલેશ ॥

જેને આઠે અંગે તો કુસંગ છે, છે સતસંગનો તો વળી લેશ ॥૨॥

જેમ નર્તક3 નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે ॥

તેને જાણે છે જે યોષિતા,4 એ વાત બંધ કેમ બેસશે ॥૩॥

વૈરાગ્યહીન ભક્તિહીન, અને ધર્મ તો ધરથી5 નથી ॥

તેને વાતો ત્યાગની, શીદ કહીને મરિયે મથી ॥૪॥

ઝાઝું કે’તાં જોખો6 ઊપજે, તેને કે’વું તે કળે કળે ॥

સે’જે સે’જે કામ સારવું, પણ બહુ તો ન બોલવું બળે ॥૫॥

જેમ સિંહ સમીપે બકરી, તે બીતી બીતી બોલી શકે ॥

તેમ અનાડી નરને આગળે, કેમ બોલાએ વણ તકે ॥૬॥

જેમ કાળા સર્પના કંડિયા, તે ઢાંકી રાખવા ઢાંકણે ॥

તેને ઉઘાડતાં દુઃખ ઊપજે, રખે ઉઘાડતા ભોળાપણે ॥૭॥

જેમ સાવજનું સાધુપણું, મર્કટ7 મુખે લીધા લગે ॥

તેમ અસાધુ સાધુ થઈ, સાધુને સેવાએ ઠગે ॥૮॥

એ પણ વાત ઓળખવી, અતિ રે’વું નહિ અજાણ ॥

જેમ વ્યાઘ્ર લોટે8 ઊંટ આગળે, પણ લઈ લેવા છે પ્રાણ ॥૯॥

ખરી વાત એ ખોટી નથી, સાચી માનજો સર્વે સહી ॥

નિષ્કુળાનંદ કહે નથી કહ્યું, અંતરમાં ઈર્ષ્યા લઈ ॥૧૦॥

કડવું 🏠 home