સારસિદ્ધિ

કડવું - ૮

રાગ: ધન્યાશ્રી

વૈરાગ્યવાનને વાત નથી કઠણ કંઈજી, જે કોઈ મુકતાં મુકાય નઈજી ।

એવી વસ્તુ આ બ્રહ્માંડે સહીજી, જે વિના વિતરાગી1 ન શકે રહીજી ॥૧॥

રાગ: ઢાળ

રહી ન શકે એવું જે રૂડું, ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહિ ।

મહાસુખ મુકી મહારાજનું, બીજે સુખે મન વાળે નહિ ॥૨॥

સર્વે લોકની સંપત્તિ, પાપરૂપ જાણી પેખે નહિ ।

મૂર્તિ મૂકી મહારાજની, બીજું દુઃખ જાણી દેખે નહિ ॥૩॥

મોટા નાના માયિક સુખમાં, પડ્યા પરાધીન પરવશ છે ।

સ્વર્ગ મૃત્યુ પાતાળ પર્યંત, તેમાં કોણ કમ કોણ સરસ છે ॥૪॥

જેમ અગ્નિ જ્વાળથી ઊંચા નીચા, લોહકઢામાં2 કણ ઊછળે ।

એમ પંચ વિષયમાં પડ્યા પ્રાણી, નાના મોટા સહુ બળે ॥૫॥

વૈરાગ્યવાન જન એવું વિલોકી, મૂકી વિષય સુખની વાટ ।

તને મને તપાસીને, ઘણી વાત બેસારી છે ઘાટ3 ॥૬॥

ખરું કર્યું એમ ખોળીને, વણ વૈરાગ્યે વણસાડ4

રૂડું જાણીને ન રોપીયે, ઘર આંગણે ગરલનું5 ઝાડ ॥૭॥

એમ એક પ્રભુને પરહરિ, જન જે જે કરે છે ઉપાય ।

તેમાં સર્વે રીતે સંકટ છે, માની લેજો જન મનમાંય ॥૮॥

પણ વણ વૈરાગ્યે વરતાય નહિ, અને વર્તે તે વૈરાગ્યવાન ।

માટે અસત્ય સુખથી મન ઉતારી, ભજે છે જે ભગવાન ॥૯॥

શુદ્ધ વૈરાગ્યવાન સાચા, ભક્ત પ્રભુના ભણિયે ।

નિષ્કુળાનંદ કહે તે વિના, બીજા સર્વે સ્વાર્થી ગણિયે ॥૧૦॥

કડવું 🏠 home