સારસિદ્ધિ

કડવું - ૩૪

સંત અસંતની રીત જૂજવીજી, ભેળાં ન ભળે જેમ રાત ને રવિજી

એમ કહે છે સહુ અનુભવીજી, વિધે વિધે વાત તેની કહું વર્ણવીજી

વર્ણવી તેની વાત કહું, હરિદાસ અદાસ દોઈની ॥

રાગી ત્યાગીની રીત ભેળી, ભળે નહિ કોઈ કોઈની ॥૨॥

એક સુખ ઇચ્છે શરીરનાં, એક ન ઇચ્છે સુખ શરીરનું ॥

એક ઇચ્છે નિરસ અન્નને, એક ખાવા ઇચ્છે ખીરનું ॥૩॥

એક ઇચ્છે પુરાણું પટ1 પે’રવા, એક ઇચ્છે અંબર નવીન ॥

એક ઇચ્છે અંતરે રે’વા ઊજળા, એક રહે મને મલીન ॥૪॥

એક ઇચ્છે લેવા સુખ લોકનાં, એક લોકસુખ તે લેખે2 નહિ ॥

એક ઇચ્છે માયિક મોટપને, એક માયિક મોટપને દેખે નહિ ॥૫॥

એક ઇચ્છે જગ જાણિત થાવા, એક ઇચ્છે થાવા અછતું ઘણું ॥

એક ઇચ્છે માન વધારવા, એક ઇચ્છે નિરમાનીપણું ॥૬॥

એક ઇચ્છે છે પદાર્થ પામવા, એક કરવા ઇચ્છે છે ત્યાગ ॥

એક ઇચ્છે છે અલપ3 સુખને, એકને અલપ સુખ છે આગ ॥૭॥

એક ઇચ્છે રે’વા અરણ્યમાં, એક ઇચ્છે વસ્તીમાંહિ વાસ ॥

એક ઇચ્છે વિષયસુખ માણવા, એક એ સુખથી છે ઉદાસ ॥૮॥

એમ ભક્ત અભક્તના ભાવને, જુદા જાણજો જરૂર ॥

એકને ન ભળવું ભીડમાં, એકને રે’વું હરિશું હજુર ॥૯॥

એમ દાસ અદાસ દોયને, ભેળું રે’વામાં ભારે રોળ4 છે ॥

નિષ્કુળાનંદ નથી કે’વાતું, પણ તપાસે દુઃખ અતોળ છે ॥૧૦॥

કડવું 🏠 home