સારસિદ્ધિ

કડવું - ૧૮

રાગ: ધન્યાશ્રી

બૃહત વૈરાગ્ય છે અનુપમ અતિજી, એહ સમાન નથી કોઈ સંપત્તિજી ।

તે તો સંત સા’યે થાયે પ્રાપતિજી, તો તેને કષ્ટ રહે નહિ રતિજી ॥૧॥

રાગ: ઢાળ

રતિ કષ્ટ તેને કેમ રહે, જેને થાય મોટાની મે’ર ।

સંત શ્રીહરિ સિંધુની જેને, ઢળી વળી આવી લે’ર ॥૨॥

જેમ રતનાકારમાં1 રતન મોતી, અમૂલ્ય છે અતિ ઘણાં ।

પણ તન મન અરપ્યા વિના, કેદિયે ન થાય આપણાં ॥૩॥

સિંધુ તીરે શે’ર વસે છે, બીજાં પણ બહુ ગામ ।

તે લૂણ2 શંખલા સહુ લિયે, રત્ન મોતીનું ન પૂછે નામ ॥ ૪॥

રત્ન મોતી મળે મોટી મે’નતે, વણ મે’નતે મળતાં નથી ।

માટે સહુ કોઈએ સમઝી, મેલ્યાં ઉતારી મનથી ॥૫॥

પણ હરિ સાગર છે સુખના, નથી કોઈ વાતની એમાં ખોટ ।

તેમાં નિષ્કામી માગે નિરવેદને, સકામ માગે માયાસુખ મોટ ॥૬॥

નિષ્કામ વિના નિરવેદનિધિ, રુચતી નથી રતિભાર ।

સાકરથી પણ સારો લાગ્યો, ખાવા સોમલખાર3 ॥૭॥

તે તો હરિજનને જોવી નહિ, પ્રાકૃત પ્રાણીની રીત ।

સેવવા શ્રીભગવાનને, માગવો વૈરાગ્ય ચિત્ત ॥૮॥

વૈરાગ્ય અંતરેથી જો ઊતરે, તો ડોકાં કાઢી રહ્યાં છે દુઃખ ।

આવે ધાઈ4 તે ઉરમાંઈ, રે’વા ન દિયે સુખ ॥૯॥

માટે વા’લો કરી વૈરાગ્યને, રાખવો તે રૂડી રીત ।

નિષ્કુળાનંદ એ નરની, તો જરૂર જાણો થાયે જીત ॥૧૦॥

કડવું 🏠 home