સારસિદ્ધિ

પદ - ૪

રાગ: રામગ્રી

તીવ્ર વૈરાગ્ય તડોવડ્યે,1 ના’વે સો સો સાધન ।

જપ તપ તીર્થ જોગ જે, કરે કોઈ જન જગન... તીવ્ર૦ ॥૧॥

દાન પુણ્ય પાળે કોઈ ધર્મને, ગાળે હિમાળે તન ।

પ્રભુ પ્રસન્ન કર્યા કારણે, જગમાં કરે છે જન... તીવ્ર૦ ॥૨॥

પણ બૃહત વૈરાગ્ય વિના, વાયદા પ્રભુ પામવા કાજ ।

અવર2 બીજા ઉપાયથી, રાજી નો’યે મહારાજ... તીવ્ર૦ ॥૩॥

બૃહત વૈરાગ્યથી નથી વેગળા, અલબેલો અવશ્ય ।

નિષ્કુળાનંદ નજીક છે, બૃહત વૈરાગ્યને વશ્ય... તીવ્ર૦ ॥૪॥

 

કડવું - ૧૭

રાગ: ધન્યાશ્રી

જેને ઉર ઉપજ્યો બૃહત વૈરાગ્યજી, તેનાં ઉઘડીયાં મહા મોટાં ભાગ્યજી ।

નથી એવો લાભ બીજો કહ્યા લાગ્યજી,3 જે થકી જડે છે મહાસુખમાં જાગ્યજી ॥૧॥

રાગ: ઢાળ

મોટી જાગ્ય જડે છે જનને, તે તો જાણજો બૃહત વૈરાગ્ય વડ્યે ।

તે વિના તપાસિયું પણ, વાત નથી બેસતી ઘડ્યે ॥૨॥

તીવ્ર વૈરાગ્ય તો ઊપજે, જો કૃપા કરે જગદીશ ।

કાં તો તેના જન મળે, વૈરાગ્યવાન મુનીશ ॥૩॥

હરિકૃપા વિના હોય નહિ, પામવા બૃહત વૈરાગ્ય ।

કાં તો બૃહી4 જન હરિના મળે, તો વાત ન રહે કહ્યા લાગ્ય ॥૪॥

તેહ વિના બૃહત વૈરાગ્યની, આશા ન રાખવી ઉર ।

જેમ વણ વૂઠે5 વરસાતને, વળી ના’વે નદીયે પૂર ॥૫॥

જેમ નર નારી વિના ન નીપજે, બાળક તે બીજી પેર ।

તેમ બૃહત વૈરાગ્ય તો ઊપજે, જો હરિ હરિજન કરે મે’ર ॥૬॥

જેમ પાથ6 પૃથ્વી બે વિના, કહું કદી ન ઉપજે અન્ન ।

તેમ તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો મળે હરિ કે હરિના જન ॥૭॥

તે વિના તીવ્ર વૈરાગ્યનો, નથી ઊપજવા ઉપાય ।

માટે હરિ હરિજનને, સેવીને કરવા સા’ય7 ॥૮॥

જેહ પામવા ઇચ્છે કોઈ પ્રાપતિ, તેને અણગર્જુ ન રે’વું અંગ ।

દાસના દાસ થઈ રહી, રહિયે વૈરાગ્યવાનને સંગ ॥૯॥

શુદ્ધ સંતથી એ સંપત્તિ, બૃહત વૈરાગ્યની મળે વળી ।

નિષ્કુળાનંદ તો તન મનના, વિકાર સર્વે જાયે ટળી ॥૧૦॥

કડવું 🏠 home